અમદાવાદ : શહેરના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો રવિવારથી રંગારંગ પ્રારંભ થયો. આજ થી શરુ થયેલ આ કોમનવેલ્થ ચેમ્પિયનશીપ 31 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં 144 જેટલા મેડલ્સ જીતવા 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. CWC-2025નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. આવા આયોજનો દેશના ઉભરતા એથ્લિટસની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથ્લિટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે.

ઈન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ મહોમ્મદ હસન જલૂદ અલ શમ્મારીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ વર્ષ 2026 માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ક્વોલિફાયર ઇવેન્ટ હશે. ભારતની યંગ ટેલેન્ટ આજે વેઇટલિફ્ટિંગમાં સતત સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટક્કર આપી રહી છે.ભારતનો ભવ્ય વારસો અને પ્રાચીન સંસ્કૃતિ તેની ઓળખ છે. આજે ભારત સ્પોર્ટ્સ અને આર્થિક ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત સરકારના સતત સહકારના લીધે જ આજે આ ચેમ્પિયનશિપ આટલી સરળતાથી આયોજિત થકી શકી છે.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ પોલ કોફફાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશિપના આયોજનમાં દરેક ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકારનો અત્યંત સહયોગ સાંપડ્યો છે.


