અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં મંગળવારે દુ:ખદ ઘટના બની હતી. સરખેજના શકરી તળાવમાં 3 યુવકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક ચાર યુવક શકરી તળાવમાં કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા.જો કે ચોથો યુવક થોડીવારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો. જ્યારે બાકીના ત્રણ યુવાન પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે નામના ત્રણેય યુવકના ડૂબવાથી મોત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળે-ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પ્રહલાદનગર ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા તળાવમાંથી ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.મૃતકોમાં પપ્પુ ચાવડા, વિશાલ કિશોર ચાવડા અને રાધેનો સમાવેશ થાય છે. આ ઘટના અંગેની જાણ થતાં જ યુવકોના સ્વજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાએ સ્વજનોના હૈયા હચમચાવી દીધા હતા.
ફાયર બ્રિગેડ દ્વારા સૌથી પહેલા બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા ત્યાર બાદ અંધારુ થઈ જતાં શોધખોળમાં મુશ્કેલી પડી હતી. જેથી ફ્લડ લાઇટ ચાલુ કરી ત્રીજા યુવકની શોધખોળ કરી અને રાત્રે 8 વાગ્યા આસપાસ ત્રીજા યુવકનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશન 2 કલાક સુધી ચાલ્યું હતું.
શકરી તળાવ પાસે સિક્યુરિટી ગાર્ડ ન હોવાની વાત પણ સ્થાનિકો પાસેથી જાણવા મળી છે. આ અંગે જાણ થતાં વેજલુરના ધારાસભ્ય અમિત ઠાકર, ડીસીપી ઝોન-7 શિવમ વર્મા અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.


