અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના અધિકારીની આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સચિવાલયના સહકર્મીઓમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઇકાલે(3 સપ્ટેમ્બર) વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવ્યો હતો. વારંવાર અધિકારીને ફોન કરવા છતાં તેમને ફોન ન ઉપાડતા તે ઘરે ગયો હતો. ડ્રાઈવરે ઘરે જઈને દરવાજો ખોલતા મૃતક અધિકારી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.જે બાદ તેણે વસ્ત્રાપુર પોલીસને તાત્કાલિક જાણ કરી, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. ઘટનાસ્થળે કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મનોજકુમાર પૂજારા છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. તેણે છૂટાછેડા લીધેલા હતા અને તેનો એક પુત્ર મુંબઈમાં રહે છે. પૂજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા, અને તેમની આત્મહત્યાના સમાચારથી સચિવાલયના સાથીઓ આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે એકલતા આ ઘટનાનું એક સંભવિત કારણ હોઈ શકે છે, પરંતુ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
વસ્ત્રાપુર પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આત્મહત્યાના કારણોને સ્પષ્ટ કરવામાં મદદ કરશે. પોલીસે પૂજારાના સહકર્મીઓ અને પરિવારજનોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી ઘટનાની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. ગાંધીનગર સચિવાલયમાં પૂજારાના સાથીઓએ તેના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે, અને આ ઘટનાએ અધિકારીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.


