અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ ઈદ-એ-મિલાદ અને 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈને નીકળનારા જુલુસ તેમજ શોભાયાત્રાના કારણે રોડ-રસ્તા બંધ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા બહાર પાડી અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું કે, આજે 5 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે ઈદે મિલાદનું જુલુસ નીકળવાનું હોવાના કારણે શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફ જવાના તમામ રોડ રસ્તા બંધ રહેશે. AMTS બસોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકના વાહન વ્યવહાર માટે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રોડ પરથી વાહનચાલકો પસાર થઈ શકશે.
6 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવતું હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશની મૂર્તિઓને શોભાયાત્રા કાઢી રિવરફ્રન્ટ અને અલગ-અલગ જગ્યાઓ પર બનાવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કુંડમાં વિસર્જિત કરવામાં આવનાર છે.
ગણેશનું વિસર્જનને લઈને સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને તરફના રોડ બપોરે એક વાગ્યાથી ભગવાન ગણેશની મૂર્તિઓ વિસર્જિત ન થાય ત્યાં સુધી બંધ રહેશે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ, એસટી ગીતામંદિરથી સારંગપુરથી કાલુપુર તરફ, કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર ખમાસા થઈને એલિસબ્રિજ સુધી અવર-જવર બંધ રહેશે. રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા હાઈ ગુરુદ્વારા તરફનો રોડ બંધ રહેશે જ્યારે દિલ્હી દરવાજાની આસપાસના વિસ્તાર પણ વાહન વ્યવહાર માટે બંધ રહેશે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું છે.
આ હુકમ સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ પોલીસ વિભાગની પુર્વ મંજુરી મેળવેલા વાહનો, કરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર- જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.05/09/2025 ના બપોર કલાક 14.00 થી ઝુલુસ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશ્નરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/પોલીસ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


