અમદાવાદ : ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધર્મકુંડ ખાતે ગણપતિ વિસર્જન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, મ્યુ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં વિસર્જન માટે અલગ અલગ કૂંડોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધર્મકુંડ ખાતે ગણપતિ વિસર્જન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન મોડી રાત સુધી ભક્તો ગણપતિ બાપાની મૂર્તિઓ લઈને અહીં પહોંચ્યા હતા અને તેમને ભાવભીની વિદાય આપી રહ્યા હતા.વિસર્જન સ્થળે એક તરફ ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમી રહ્યા હતા અને “ગણપતિ બાપા મોરિયા”ના નારા લગાવી રહ્યા હતા. તો બીજી તરફ ગણપતિ બાપાને વિદાય આપતી વખતે ઘણા ભક્તોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમ અને ગાડીઓ પણ રિવરફ્રન્ટ પાસે તૈનાત કરવામાં આવી હતી . વિસર્જનને કારણે રિવરફ્રન્ટની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. લોકો પોતાની મરજીથી ગણપતિજીની આરતી કર્યા બાદ તેમને વિદાય આપી રહ્યા હતા.
રિવરફ્રન્ટ પર મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના દ્વારા મૂર્તિઓને ધર્મકુંડમાં વિસર્જિત કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધર્મકુંડની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.


