અમદાવાદ : અમદાવાદ શહેરમાં મકાન ધરાશાયી અને ઝાડ પડવાના શહેરમાં પાંચ બનાવો સામે આવ્યા છે. શહેરમાં ભારે વરસાદને પગલે દીવાલ ધરાશાયી, ચાર મકાન અને પાંચ ઝાડ ધરાશાયી થયા છે, સદનસીબે આ પાંચ ઘટનાઓમાં કોઈને જાનહાની કે ગંભીર ઈજા નથી થઈ.આ ઘટનામાં ફસાયેલા લોકોને અમદાવાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી બચાવવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ કેટલાક ટુ-વ્હીલરને પણ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાઓએ શહેરના જૂના અને જર્જરિત મકાનોની સમસ્યા પર ફરી એકવાર ચર્ચા ઉભી કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ,અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને મકાન અને ઝાડ ધરાશાયી થવાના બનાવો વધી રહ્યા છે. શહેરના દરિયાપુર, બહેરામપુરા, શાહપુર અને માંડવીની પોળ જેવા વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી થયા છે. આ તમામ બનાવમાં કુલ પાંચ લોકો દટાયા હતા, જેમાંથી ચાર લોકોને ફાયરબ્રિગ્રેડે રેસ્ક્યુ કર્યા અને એકને સ્થાનિકોએ બહાર કાઢ્યો. શીવરંજની, થલતેજ, મણિનગર, બોપલ અને એલિસબ્રિજમાં પણ ઝાડ પડી જવાના બનાવો સામે આવ્યા છે. બોપલ વકીલ સાહેબ બ્રીજ પાસે આવેલી સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ પણ ધરાશાયી થઈ હતી, જેમાં ત્રણ કારો બાજુમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટના ખાડામાં ખાબકી હતી.
પહેલી ઘટનામાં અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દિવાલ ધરાશાયી થઇ જતા ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે આવ્યા નથી.
બીજી ઘટનામાં દરિયાપુરમાં આવેલા અલી કુંભારના ડેલામાં એક જર્જરિત મકાન રવિવારે સવારે 11 વાગ્યાના સુમારે ધરાશાયી થતા મકાનમાં રહેતા 55 વર્ષીય સલીમ શેખ, 8 વર્ષીય બાળકી આયાત શેખ અને એક 10 વર્ષની બાળકી કાટમાળ નીચે દટાઇ હતી. પ્રાથમિક તબ્બકે સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરીને ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની બે ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને કાટમાળમાં ફસાયેલ બે બાળકી સહિત પરિવારના ત્રણેયનું સભ્યોને રેસ્કયુ કરીને સારવારઅર્થે હોસ્પિટલમાં મોકલ્યા હતા.
ત્રીજી ઘટનામાં બહેરામપુરામાં આવેલ ગૌતમનગર ચાર રસ્તા પાસે રવિવારે બપોરે 12.30 વાગ્યે દુકાનની છતનો ભાગ ધરાશાયી થતા 35 વર્ષીય કિર્તીભાઇ પરમાર અને 25 વર્ષીય પ્રકાશભાઇ ચાવડા તેમજ બાઇક કાટમાળ નીચે દટાયુ હતુ.ફાયરબ્રિગ્રેડને જાણ કરાતા ફાયરની બે ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને કાટમાળ હટાવીને ઇજાગ્રસ્ત બંને યુવકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ચૌથી ઘટનામાં શાહપુરમાં પારેખના ખાંચામાં દાસની પોળમાં એક જર્જરિત મકાન બપોરે 12.20 વાગ્યે એકાએક ધરાશાયી થયુ હતુ. પરંતુ મકાનમાં કોઇ રહેતુ ન હોવાથી જાનહાનિ થઇ ન હતી.
પાંચમી ઘટનામાં શહેરમાં આવેલી માંડવીની પોળમાં એક મકાન ધરાશાયી થયુ હતુ. તેમાંય કોઈને જાનહાની કે ઈજાના સમચાર સામે આવ્યા નહોતા. જો કે ચારેય બનાવોમાં કોઇ મોટી જાનહાનિ સામે આવી નથી.


