અમદાવાદ : રેશનકાર્ડ અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ રેશનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રખાય.હવે રેશનકાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી (PDS) મારફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવાયા મુજબ શનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રખાય .આ અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે રેશનકાર્ડ હવે સરકારી કામકાજ, બેંકિંગ, લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા અન્ય દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને વિવિધ દસ્તાવેજોના દુરુપયોગને અટકાવવાનો છે. સરકાર મુજબ, રેશનકાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પૂરું પાડવાનો છે.
આ નવા નિયમ લાગુ થતાં લોકો માટે હવે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.
જાહેર જનતાએ એ ધ્યાન રાખવું જરુરી છે કે હવે પછી રેશન કાર્ડનો ઉપયોગ રહેણાંકના પુરાવા તરીકે તમે રજૂ નહી કરી શકો. રેશન કાર્ડ હવે માત્ર રેશનિંગ તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે.


