અમદાવાદ: આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તાર 14 દુકાનોમાં આગ લાગવાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી, જોતજોતાંમાં આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ અગ્નિશામક વાહનો સાથે દોડી આવ્યા હતાં અને આગને કાબુમાં લીધી હતી.મોટા ભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજવસ્તુઓની હતી, જેથી દિવાળીના સમયે આગ લાગતાં વેપારીઓને મોટું નુકસાન ગયું છે.
અહેવાલ મુજબ, આજે વહેલી સવારે 5 વાગ્યે ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર બાપુનગર ચાર રસ્તા તરફ બજારમાં આવેલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી ફાયરબ્રિગેડની 8 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
મોટાભાગની દુકાનો કપડાં, ફૂટવેર, ઘરવખરી અને સુશોભન માટેની ચીજ-વસ્તુઓ હતી, દિવાળીને ધ્યાનમાં રાખીને દુકાનોમાં વધુ સ્ટોક રાખ્યો હતો. દુકાનો બળીને રાખ થઇ જતાં, વેપારીઓને ભારે નુકસાન થયું છે. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની કે ઈજા થઇ નથી, જો દિવસના સમયે દુકાનો ગ્રાહકોથી ભરેલી હોત ત્યારે આગ લાગી હોત ગંભીર ઘટના બની હોત.
પ્રાથમિક તપાસ મુજબ દુકાનમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. આગ લાગવાનું ચોક્કસ જાણવા ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે નુકસાનનું આંકલન પણ કરવામાં આવી રહ્યું છે.


