અમદાવાદ : ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમતો સતત ઊંચેને ઉંચે જઇ રહી છે. સોની બજારોમાં ચોરી અને છેતરપિંડીના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આવો જ એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો અમદાવાદના એરપોર્ટ કાર્ગો ટર્મિનલમાં સામે આવ્યો છે. અહીંથી એક આખે આખી ચાંદીની પાટ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. એરપોર્ટ પોલીસે તપાસ કરતા એક કર્મચારી દ્વારા જ આ પાટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ કાર્ગો ઓપરેશનમાં નોકરી કરતા જ્હોન મુરીંગાતેરીએ કૌશિક રાવલ નામના શખ્સ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈ તા.11મીએ જ્હોન મુરીંગાતેરી ફરજ પર હતા ત્યારે દિલ્હી એરપોર્ટ, એર ઇન્ડિયા તરફથી એક ઇ-મેલ આવ્યો હતો.
અમદાવાદ દિલ્હીની ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટથી મોકલવામાં આવેલી 25 નંગ ચાંદીની પાટ ભરેલા પાર્સલમાંથી માત્ર 24 નંગ ચાંદીની પાટ જ મળી હતી. જ્યારે એક ચાંદીની પાટ ગાયબ હતી. આ બાબતે તપાસનો હુકમ મળતા ત્યાં કામ કરતી કંપની સાથે મળીને ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ અને દિલ્હીથી કોઈ નક્કર પરિણામ મળી આવ્યું નહોતું.
એરપોર્ટના સીસીટીવીની તપાસ કરવામાં આવતા કાર્ગોમાં સામાન લોડ કરતી વખતે 24 નંગ સિલ્વર બાર જ લોડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 16.58 લાખની કિંમતની 10 કિલોની ચાંદીની પાટ ચોરી થયાનું ખૂલ્યું હતું. ડોમેસ્ટિક એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ ખાતેના બિલ્ટઅપ એરિયા ખાતે નોકરી કરતા કૌશિક રાવલે ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. એરપોર્ટ પોલીસ દ્વારા કૌશિક રાવલ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.


