અમદાવાદ : અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે શનિવારે અમદાવાદના નારણપુરા પાસે ગઈકાલે મોડી રાત્રે BRTS બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે શખ્સોએ ભેગા મળીને BRTS બસના કાચ તોડી બસમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત બસના ડ્રાઇવરને પણ બસમાંથી ઉતારીને માર માર્યો હતો. આ મામલે બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નારણપુરા પાસે BRTS બસમાં તોડફોડ અને માર મારવા મામલે ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ‘ગઈકાલે સાણંદ ચોકથી જયમંગલ સુધીની છેલ્લી ટ્રીપ મારી હતી. આ પછી બસ શાસ્ત્રીનગર ચાર રસ્તાથી નારણપુરા બસ ડેપો ખાતે મુકવા જતાં વળાંક પર એક રાહદારીનો પગ બસ ટાયરમાં આવી ગયો હતો. જેમાં મે તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. જોકે, એટલામાં બે શખ્સો અકસ્માત કે કર્યો તેમ કરીને લાકડી અને પાઈપ વડે બસના કાચ તોડીને તોડફોડ કરવા લાગ્યા હતા અને મને માર માર્યો હતો.’
આ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.પોલીસને જાણતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ડ્રાઈવરે સમગ્ર બાબતે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઘાટલોડિયા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ડ્રાઈવરનું નિવેદન લઈને સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા હાથ ધરી છે.


