અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારની માલાબાર એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા એક ડૉક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી નવા રાખેલા ઘરના નોકર ભવરલાલ મીણાએ ઘરમાં હાથફેરો કર્યા હોવાનું ખુલ્યું છે. મહત્વની વાત છે કે, આ ઘરઘાટીને ડોક્ટરે માત્ર નવ જ દિવસ પહેલાં કામે રાખ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ત્રાગડ ખાતે રહેતા ડૉ. હાર્દિક નરેન્દ્ર મગનલાલ વ્યાસે ગત તારીખ 8 ઓક્ટોબર 2025 ના રોજ ભવરલાલ ખેતાજી મીણા નામના યુવકને ઘરની સારસંભાળ અને કામકાજ માટે 15000 રૂપિયાના પગારથી નોકરીએ રાખ્યો હતો. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી આધાર કાર્ડ, મોબાઇલ નંબર સહિતની માહિતી મેળવી ખરાઈ કર્યા ડૉક્ટરે તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આ ઉપરાંત ભવરલાલની ભલામણ અન્ય પરિચિતોએ કરી હતી.
ગત તા 17 ઓક્ટોબર, શુક્રવાર 2025 ના રોજ સવારે 11 કલાકે ડૉક્ટર વ્યાસ દવાખાને ગયા હતા અને બપોરના 01 વાગ્યે જમવા પાછા ફર્યા હતા. જ્યારે ડૉક્ટર ઘરે પહોંચ્યા તો ઘર બહારથી બંધ હતું. નોકર ભવરલાલનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો, જેના કારણે તેમને શંકા ગઈ.ડૉક્ટરે ઘરનો દરવાજો ખોલીને અંદર તપાસ કરી તો તેમના બેડરૂમની તિજોરી અર્ધખુલ્લી હાલતમાં મળી આવી હતી.
ચોંકાવનારી વાત એ હતી કે તિજોરીનું ડ્રોઅર પણ તૂટેલું હતું. ડૉક્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું કે ડ્રોઅરમાં રાખવામાં આવેલા પાંચસોના દરની નોટોના બંડલો, જેની કુલ કિંમત 6.50 લાખ થતી હતી, તે રકમ ગાયબ હતી. નોકરે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ, ડૉક્ટરના દવાખાને જવાનો સમય જાણીને, ઘરમાં રહેલી રોકડ રકમ પર હાથ સાફ કરી લીધો હતો.
ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવીમાં તે જ દિવસે ભંવરલાલ બપોરે 12.09 વાગ્યે સોસાયટીની બહાર થેલી લઈને સ્પષ્ટપણે જતો દેખાતો હતો. આથી તબીબે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભંવરલાલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.


