અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક વિચિત્ર બનાવ બનવા પામ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવતીને ભૂખ લાગતા તલનો ડબ્બો હાથમાં લીધો હતો.ડબ્બામાંથી તલ ખાધા બાદ તેની તબિયત લથડી હતી.યુવતીના પરિવારજનોએ યુવતીને સારવાર માટે ખસેડી હતી. સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું છે.યુવતીના મોત અંગે તપાસમાં તલમાં અનાજ ન બગડે તેવી ઝેરી દવા નાખી હોવાના કારણે તેની તબિયત બગડ્યા બાદ મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું હતું.આ મામલે ઘાટલોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી હિરાબાગ સોસાયટીમાં પુષ્પાબેન સુથાર રહે છે. તેમને સંતાનમાં 22 વર્ષીય પુત્રી દિશા સહિત ત્રણ સંતાનો છે. બનાવની વિગત એવી છે કે ગત તા. 25 ઓક્ટોબરે પુષ્પાબેનની પુત્રી દિશાને ભૂખ લાગતા રસોડામાં ગઈ હતી. દિશાએ રસોડામાં પડેલાં નાસ્તાના ડબ્બા ફેંદ્યા હતા. પરંતુ નાસ્તો ન મળતા તેણે તલ ભરેલો ડબ્બો લઈને થોડા તલ ખાધા પછી તેની તબિયત લથડી હતી અને ઊલટીઓ થવા લાગી હતી. દિશાની માતાને પુત્રીની તબિયત લથડી હોવાનું ધ્યાને આવતા રાતે પાડોશીની મદદ લીધી હતી. પાડોશીઓ ટૂ-વ્હીલર ઉપર દિશાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
દિશાની સારવાર ચાલી રહી હતી તે દરમિયાનમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દિશાએ જે તલ ખાધા હતા તેમાં અનાજ ના બગડે તેની દવા નાખી હતી. તે ઝેરી દવાની ગંભીર અસર દિશાને થતાં તેનું મોત નીપજ્યું છે. ઘાટલોડિયા પોલીસે દિશાના મોત મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે ખરેખર સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે તપાસનો વિષય છે જેથી પોલીસે હાલ અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ કરી છે.


