અમદાવાદ : અમદાવાદના કાંકરિયા તળાવમાં ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવશે. નગીનાવાડી પણ ફરીથી નાગરિકો માટે ખુલ્લુ કરવામાં આવશે. વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કાંકરિયાનું બોટિંગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. 1 નવેમ્બર બાદ આ બોટિંગ શરૂ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયા તળાવમાં આવેલી નગીનાવાડીનો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે વર્ષ 2003-04માં વિકાસ કરવામાં આવેલો અને તેમાં અલ્ટ્રા ફાસ્ટ મ્યુઝીકલ ફાઉન્ટે વીથ રંગીન લેશર શો, બોટીંગની સુવિધા સાથે શરૂ કરવામાં આવી હતી. બગીચાની જાળવણી, લાઈટ ખર્ચ, સીકયુરીટી ખર્ચ અને મરામત અને નિભાવ ખર્ચની સંપુર્ણ જવાબદારી એજન્સીની રહેશે તે શરતો મુજબ આ કામગીરી કરવામાં આવેલી હતી. કાંકરિયામાં જાહેર જનતા માટે મ્યુઝીકલ ફાઉન્ટેનનું નવુ આકર્ષણ શરૂ કર્યું હતું.એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે કાંકરિયા તળાવ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શો પણ આગામી અઠવાડિયામાં ફરી શરૂ થશે.
વડોદરાના હરણી બોટકાંડ પછી રાજ્યમાં બોટિંગની તમામ સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. હવે આ બોટિંગ આમ્રપાલી ઇન્ડ લિમિટેડ દ્વારા ફરી શરૂ કરવામાં આવશે. આ કંપનીના કોન્ટ્રાક્ટને 1.5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે અને નવા નિયમો મુજબ તમામ લાયસન્સ પ્રાપ્ત થયા છે.2004 થી અત્યાર સુધી નગીનાવાડી અને મ્યુઝીકલ ફાઉન્ટેનમાં 63.61 લાખ મુલાકાતીઓ આવ્યા. અલગ-અલગ પ્રકારની 10 બોટ્સમાં કુલ 86.30 લાખ લોકોનો આનંદ લેવાયો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 7.17 કરોડની આવક થઇ.


