અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. ભાઈલાલ વાઘેલાની હત્યા કરનાર 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પ્રેમ લગ્નના મનદુઃખમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્નના મન દુઃખના કારણે યુવતીના પરિવારજનોએ યુવકના માતા અને પિતાને ઢોર માર માર્યો હતો. યુવકના પિતા ભાઈલાલ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાઈલાલ વાઘેલાનું મોત થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે નારણપુરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા પોલીસની કસ્ટડીમાં દેખાતા આરોપીઓના નામ રાજુભાઈ પરમાર, મહેશ પરમાર, લીલાબેન પરમાર, કલાવતીબેન સોલંકી, મહેશ રાઠોડ તેમજ પ્રેમ પરમાર છે. આ આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સફાઈ કામદાર તરીકે નોકરી કરતા 55 વર્ષીય કૈલાશબેન વાઘેલા અને તેમના 60 વર્ષીય પતિ ભાઈલાલભાઈ 30 મી ઓક્ટોબરે ઉસ્માનપુરા પાસે સફાઈ કામ માટે ગયા હતા. જે દરમિયાન બે ઓટોરિક્ષામાં આ આરોપીઓએ આવી લાકડાના ધોકા દ્વારા માર માર્યો અને બાદમાં રિક્ષામાં અપહરણ કરી રાણીપમાં ખુલ્લા મેદાનમાં લઈ જઈ માર માર્યો હતો. તે સમયે આસપાસના લોકો એકઠા થતા આ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે હુમલામાં ભાઈલાલભાઈ વાઘેલાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
નારોલમાં રહેતા ફરિયાદી કૈલાશબેન વાઘેલાના નાના દીકરા સની વાઘેલાએ ચાર વર્ષ પહેલા જ્યોત્સના પરમાર નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યોત્સનાએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી તેના પરિવારજનોને આ લગ્ન સ્વીકાર્ય ન હતા. જેથી અવારનવાર તેનાં પિતા દીકરીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતા હતા. જેનાથી કંટાળી જ્યોત્સનાએ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ પણ માંગી હતી. વારંવારનાં પ્રયાસ બાદ પણ દીકરી પોતાની પાસે પરત આવતી ન હોય જેની અદાવત રાખીને તેનાં પિતા, ભાઈ, બહેન. બનેવી, કાકા, કાકી સહિતનાં આરોપીઓએ આ ગુનાને અંજામ આપ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ પરમાર મૃતકની પુત્રવધુ જ્યોત્સનાનાં પિતા છે. જેઓ મૂર્તિ બનાવવાનું અને અન્ય છૂટક કામ કરે છે. અન્ય આરોપીઓમાં મહેશ પરમાર કાકા, લીલાબેન કાકી, કલાવતીબેન ફુઈ, જ્યોતિ સગી બહેન, મહેશ રાઠોડ બનેવી તેમજ પ્રેમ કાકાનો દીકરો છે. હાલ તો પોલીસે ગુનામાં ફરાર જ્યોતીની શોધખોળ હાથ ધરી છે. જ્યારે પકડાયેલા અન્ય આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ આ સિવાય અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે તેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.


