અમદાવાદ : અમદાવાદના શીલજ વિસ્તારમાં મોડી રાત્રે બંગલામાં ત્રાટકેલા ત્રણ લૂંટારાઓએ 75 વર્ષીય વેપારી અને તેમની પત્નીને ચાકુની અણીએ બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ આ લૂંટારાઓ 22.91 લાખની કિંમતના સોના-હીરા જડિત દાગીના, ઘડિયાળ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જાનથી મારી નાખીશું. ભોગ બનનાર 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શીલજ વિસ્તારમાં આર્યમાન બંગલોમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈ તેમની પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદરમાં ક્રોસમાર્ક ઇનોવેશન નામથી ભાગીદારીમાં કાપડ મશીનરી બનાવવાનો વ્યવસાય ચલાવે છે. 26 ઓક્ટોબરની રાત્રે લગભગ 10:30 વાગ્યે ભરતભાઈ અને પલ્લવીબેન તેમના બેડરૂમમાં સૂવા ગયા હતા. લગભગ 1:30 વાગ્યે ભરતભાઈ બાથરૂમ જવા માટે જાગી ગયા. જ્યારે ભરતભાઈ પાછા ફર્યા અને પાછા સૂઈ ગયા, ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો.દસ મિનિટ પછી, તેમણે બે માસ્ક પહેરેલા માણસોને રૂમની અંદર ચપ્પુ જેવા હથિયાર સાથે જોયા. જ્યારે મારી પત્ની જાગી , ત્યારે ત્રીજો એક લૂંટારો પણ રૂમમાં આવી ગયો અને જો સહકાર નહીં આપે તો મને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પલ્લવી ડરી ગઈ અને તેણે ડ્રેસિંગ રૂમમાં કબાટની અંદર છુપાવેલી લોખંડની તિજોરી જબરદસ્તી ખોલાવી અને તેમાંથી તમામ કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. અને બાદમાં ત્યાંથી ભાગી ગયા.
ઘટનાસ્થળેથી ફરાર થતા પહેલાં લૂંટારાઓએ દંપતીને પોલીસને જાણ ન કરવાની ધમકી આપી હતી. શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘તેમણે મારી પત્નીનો હાથ મારા માથા પર મૂકાવીને સોગદ ખવડાવી અને કહ્યું કે, કહ તમે પોલીસને ફોન નહીં કરો અને જો કર્યો તો અમે તમને બંનેને મારી નાખીશું.’ ડરના માર્યા દંપતી સવાર થતાં સુધી બેડરૂમમાં જ રહ્યા. સવારે 5 વાગ્યાની આસપાસ તેઓ નીચે આવ્યા અને ગાર્ડને જાણ કરી. તેમને ખબર પડી કે ઘરના પાછળના ભાગમાં ડાઇનિંગ એરિયા પાસેની બારીનો કાચ તૂટેલો હતો. ઘરના સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ પાછળની દીવાલ કૂદીને, તૂટેલી બારીમાંથી રાત્રે 12.57 વાગ્યે ઘરમાં પ્રવેશતા અને ચોરીનો સામાન લઈને 2.48 વાગ્યે બહાર નીકળતા જોવા મળ્યા છે.
પલ્લવીબેનની સામે બે શખસે હીરાની બૂટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ, સોનાની બંગડી, હીરાના પ્લેટિનયમ કડા, સોનાનો સેટ, સોનાનો હાર, આઠ સોનાની લગડી, રાડો કંપનીની ઘડિયાળ, લોજીનેસ કંપનીની ઘડિયાળ, એક લાખની રોક્ડ સહિત કુલ 21.91 લાખની મતાની લૂંટ કરી હતી. લૂંટારાઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયાં હતાં. ભરતભાઈએ આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


