અમદાવાદ : અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા બે બ્રિજ અને અંડરપાસમાં સમારકામ કરવાનો નિર્ણય કર્યો છે. SP રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસમાં 5 કે 7 નવેમ્બરથી રેલવે કલ્વર્ટમાં રીપેરીંગ કામ શરૂ કરાશે. જેના કારણે SP રિંગ રોડ પરના બંને રસ્તાને વારાફરતી 20-20 દિવસ વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ કામગીરી કુલ 40 દિવસ સુધી ચાલશે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરદાર પટેલ રિંગ રોડ પર ત્રાગડ અંડર પાસ, ભાટ ઓવરબ્રિજ અને કમોડ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર ખાડા પડવાની ફરિયાદો વધી હતી. જેના પગલે ઇજનેર વિભાગ દ્વારા ત્રણે જગ્યા પર રોડને મજબૂત કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 5 અથવા 7 નવેમ્બર થી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.આ રિપેરિંગ કામ બે તબક્કામાં કરવામાં આવશે, જેમાં SP રિંગ રોડ પરના બંને રસ્તા વારાફરતી 20-20 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ નિર્ણયની સીધી અસર ખાસ કરીને ઝુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા વાહનચાલકો પર પડશે.
ઔડા દ્વારા આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે, જે દિવસના 18થી 20 કલાક કામ કરશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, રોડ પરથી વાહનો પસાર થતાં ડામર વારંવાર ઉખડી જતો હોવાથી આ વખતે આખો ભાગ સિમેન્ટ કોન્ક્રીટ (RCC) વડે નવો બનાવવામાં આવશે. આનાથી સરફેસ ખૂબ જ મજબૂત બનશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે.
જાણો વૈકલ્પિક રૂટ અને ડાયવર્ઝન પ્લાન
ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, કામગીરીના પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. આ સમયે વાહનચાલકોએ ઝુંડાલ સર્કલ બ્રિજ નીચેથી અડાલજ સર્કલ થઈ, મહારાજા હોટલ થઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાનું રહેશે.
જ્યારે બીજા તબક્કાની કામગીરીમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. તે સમયે વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર તરફ થઈ, અડાલજ સર્કલથી ઝુંડાલ તરફ આવવાનું રહેશે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા માટે વાહનચાલકોને અંદાજે 11 કિલોમીટરનો વધારાનો ચકરાવો લેવો પડશે.
એસ.પી. રીંગ રોડ પર ડાયવર્ઝન
પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.
બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.
વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.


