ગાંધીનગર : ગુજરાતના યુવાનો માટે આજનો દિવસ ‘ડબલ ધમાકા’ સમાન સાબિત થયો છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં જ્યાં એક તરફ 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા, ત્યાં બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવિષ્ય માટે એક મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે રાજ્યના પોલીસ વિભાગમાં આગામી સમયમાં 14,507 જેટલી જંગી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, જે યુવાનો અત્યારે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યાં છે, તેમના માટે આ ઉત્તમ તક છે. ભરતી માટે સારામાં સારી વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષા યોજાય તેવી વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોની નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. વધુમાં કહ્યું કે, રાજ્યમાં સફળતા પૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના નિમણૂક પત્ર પણ ઝડપથી આપવામાં આવે છે.
ખાસ કરીને વાત કરવામાં આવે છે, છેલ્લી ભરતીમાં 12500 યુવાનોએ પરીક્ષા પાસ કરી છે અને તેઓ હવે નિમણૂકપત્ર એનાયત કરવામાં આવશે તેવી પણ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખયની છે કે, રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે.


