અમદાવાદ : અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે બ્રિજ પરથી રેલવે ટ્રેક પર ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર બનાવ અંગે પતિ અને સાસરિયા પક્ષ સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આત્મહત્યાના મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સોલા બ્રિજ પરની રેલવે ટ્રેક પર પરિણીતાએ તેના ત્રણ વર્ષના બાળક સાથે પડતું મૂકીને મોતને વ્હાલુ કર્યું હતું. આત્મહત્યાના બનાવ મામલે મૃતકના પરિવારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વિરમગામમાં રહેતા અંબારામભાઈ સોલંકીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2016માં તેમની દીકરી મીતાના હસમુખ મકવાણા નામના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.હસમુખ સોલા બ્રિજ નીચે છાપરામાં રહે છે.હસમુખ અને મિતાને ત્રણ વર્ષનો એક બાળક પણ છે.લગ્ન થયા ત્યારથી હસમુખ મીતા ઉપર શક રાખીને મારઝૂડ કરતો અને ત્રાસ પણ આપતો હતો.હસમુખના માતા શારદાબેન અને પિતા કનુભાઈ પણ મિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, અમારી દીકરી જ્યાં ઘરે આવતી ત્યારે સાસરિયા દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું જણાવતી હતી અને સાસરિયા વાળા તેને એમ કહેતા કે, ‘તું જોઈતી નથી, મરી જા…’ અંતે આ બધાથી કંટાળીને તેને ગત 21 નવેમ્બરના રોજ આપઘાત કર્યો હતો. પોલીસે મૃતકના પતિ અને સાસરિયા પક્ષ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


