અમદાવાદ : અમદાવાદમાં આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ જોતાં સ્પષ્ટપણે લાગે છે કે શહેરમાં દરેક વોર્ડ દીઠ મનોવૈજ્ઞાનિકો જાણે નીમવા પડે તેવી સ્થિતિ છે. અમદાવાદમાં ચાંદખેડામાં એક પરીણિત મહિલાએ આત્મહત્યા કરતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં આવેલા દિવાળી હોમ્સમાં રહેતી મૈત્રી શ્રીમાળી નામની મહિલાએ બે દિવસ અગાઉ ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં જ આસપાસના લોકો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા, જોકે ગંભીર ઈજા થતાં મહિલાનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. મહિલાના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મહિલા પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નહોતી, જેથી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
ચાંદખેડા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવતા હતા તે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૈત્રીના થોડા વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના પ્રેમલગ્ન થયા હોવા છતાં પણ તેનો પતિ સાથે મનમેળ ન હતો, તેના કારણે તે પિયરમાં ગઈ હતી. તેના સંબંધો સુધરતા તે પતિના ઘરે પરત પણ ફરી હતી. તેમને બે વર્ષનું એક બાળક પણ છે.
જો કે પોલીસને મહિલા પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી અને મહિલાએ કયા કારણથી આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. આના પગલે હાલમાં ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ માટે મૃતકનો મોબાઇલ ફોન કબ્જે લઈને પોલીસે ફોરેન્સિક તપાસમાં મોકલી આપ્યો છે.


