અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના સતત વધતા ઉલ્લંઘનને રોકવા માટે લાઇસન્સ રદનો વાહનવ્યવહાર વિભાગે હવે વધુ કડક પગલુ લેવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ હજારો લોકો નિયમ તોડે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિક સિસ્ટમ પર ભારે બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વાહનવ્યવહાર વિભાગે 5 કરતાં વધુ ટ્રાફિક મેમો ધરાવતા વાહનચાલકો સામે સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે ટ્રાફિક નિયમના ભંગના પાંચથી વધુ મેમો હશે તો હવે આરટીઓ જ વાહનચાલકોનું લાઈસન્સ રદ કરી શકશે. વાહન વ્યવહાર વિભાગે આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જો કે અંતિમ નોટિફિકેશન જાહેર થયા બાદ નિયમ અમલી બની જશે. મળતી માહિતી અનુસાર, વાહન વ્યવહાર વિભાગના મતે જે વાહન ચાલકના નામ પર પાંચથી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે અને જવાબ માંગવામાં આવશે. વાહન ચાલકને સવાલ પૂછવામાં આવશે કે તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કયા કારણોસર રદ ન કરી શકાય. જવાબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે.
અત્યાર સુધી, પોલીસ જ્યારે સતત નિયમ ભંગ કરતી ગાડીઓના નંબરની વિગતો RTOને મોકલે છે, ત્યારબાદ RTO લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરે છે. પરંતુ આ પ્રક્રિયા અત્યંત ધીમી છે અને એક વર્ષમાં માત્ર 2 થી 3 હજાર લાઇસન્સ જ રદ થાય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અમદાવાદ સહિત ગુજરાતભરમાં લાખો લોકો નિયમોની અવગણના કરે છે અને તેમના પર અનેક મેમો બાકી હોય છે.
વિભાગના આંકડાઓ મુજબ હાલમાં 5થી વધુ મેમો ધરાવતા વાહનચાલકોની સંખ્યા એક લાખથી પણ વધુ છે. આ લોકો સતત નિયમોનો ભંગ કરે છે પરંતુ કાયદાની ધીમી પ્રક્રિયા કારણે તેઓ પર અસરકારક કાર્યવાહી થતી નથી.નવા ડ્રાફ્ટ નોટિફિકેશન હેઠળ પોલીસની સૂચના વગર પણ RTO પોતે પ્રાથમિકતા ધરાવતી માહિતી તપાસીને પગલાં લઈ શકશે. એટલે કે, જો કોઈ વાહનચાલક પર નિયમિત મેમો ભરાતા રહે, તો સિસ્ટમ આપમેળે તેને “રેડ લિસ્ટ”માં મૂકી નોટિસ મોકલી દેશે.
નોટિસ મળ્યા બાદ ચાલકને 15 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે. યોગ્ય કારણો વિના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારાઓનું લાઇસન્સ નિશ્ચિત રીતે સસ્પેન્ડ અથવા રદ થશે.
હેલ્મેટ વિના ડ્રાઇવિંગ
સીટબેલ્ટ ન પહેરવી
સ્પીડ લિમિટનો ભંગ
રોહાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ
સિગ્નલ તોડવું
મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચલાવવું
આ તમામ ઉલ્લંઘનો માત્ર દંડ નહીં પરંતુ અનેક અકસ્માતોને નિમંત્રણ આપે છે.


