અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક અને અનોખી સુવિધા તરીકે રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ અંતર્ગત પરિવર્તિત રેલ કોચમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહી છે, જ્યાં નાગરિકો અને મુસાફરો મુસાફરી કર્યા વિના પણ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી શકશે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. આંબલી રોડ સ્ટેશન પર બનનાર રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ આવી રેસ્ટોરન્ટ બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદની જનતા પણ રેલવેના આ હરતા-ફરતા ડાઈનિંગ હોલનો આનંદ માણી શકશે.આ રેલ કોચ રેલ કોચ રેસ્ટોરાંની સૌથી મોટી વિશેષતા એ હશે કે તે 24 કલાક કાર્યરત રહેશે. અહીં મુસાફરો અને સ્થાનિક નાગરિકો દિવસ હોય કે રાત, ગમે ત્યારે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી શકશે.રેસ્ટોરામાં ઇન્ડોર બેઠક વ્યવસ્થાની સાથે આઉટડોર ડાઇનિંગની પણ સુવિધા હશે. આ ઉપરાંત, અહીં આવતા પરિવારો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને બાળકો માટે ખાસ ‘ફન ઝોન’ પણ બનાવવામાં આવશે, જેથી બાળકો રમી શકે અને વડીલો નિરાંતે ભોજન કરી શકે.
આ રેસ્ટોરન્ટને હરિયાળીથી ભરપૂર અને આનંદદાયક વાતાવરણમાં તૈયાર કરવામાં આવી રહી છે. આધુનિક ડિઝાઇન સાથેના આ કોચમાં જ રસોડું (એટેચ્ડ કિચન) હશે, જ્યાંથી ગ્રાહકોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે.મેનૂમાં ઇન્ડિયન, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ જેવી અનેક વેરાયટી રાખવામાં આવશે. તમામ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલી આ રેસ્ટોરન્ટમાં ટેક-અવે અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આંબલી રોડ સ્ટેશન પર આ પ્રોજેક્ટ સફળ થયા બાદ રેલવે વહીવટતંત્ર આગામી સમયમાં મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ આવી જ ‘રેલ કોચ રેસ્ટોરાં’ વિકસાવવાની યોજના ધરાવે છે.ભારતીય રેલવેના આ ઇનોવેટિવ એપ્રોચને કારણે રેલવેને આવક પણ થશે અને સામાન્ય લોકોને એક આકર્ષક પિકનિક સ્પોટ જેવું વાતાવરણ પોતાના જ શહેરમાં મળી રહેશે.


