અમદાવાદ : શહેરના ટ્રાફિકને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. શહેરના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે સર્વિસ રોડને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ખાનગી વીજ કંપની દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ખોદકામના કારણે આ સર્વિસ રોડને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે રોજિંદા મુસાફરોને થોડા દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડશે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા છેડે અનામિક હાઈટથી ઈડન હોટલની વચ્ચે ડિવાઈડરની પાસે ખાનગી વીજ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવાની છે. આ કામ સલામત રીતે અને વિઘ્ન વિના પૂર્ણ થાય તે માટે 22 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર 2025ની રાત્રે 12 વાગ્યા સુધી આ એકતરફી સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શહેરમાં પહેલેથી જ વિવિધ વિકાસકામો, મેટ્રો પ્રોજેક્ટ અને રોડ રીડેવલપમેન્ટના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. તેવામાં એસજી હાઈવે જેવા મુખ્ય માર્ગ પર સર્વિસ રોડ બંધ થવાથી વાહનચાલકો માટે થોડી અસુવિધા ઊભી થવાની શક્યતા છે. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય આયોજન સાથે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકનું ભારણ સંતુલિત રાખી શકાય.
ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ જણાવવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજ તરફથી આતો ટ્રાફિક થલતેજ અંડરપાસ તઈને ગોતા ગાંધીનગર તરફ જઈ શકશે. જ્યારે પકવાન બ્રિજની નીચેથી આવતો ટ્રાફિક પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી બંધ માર્ગની બાજુમાં સર્વિસ રોડનો ઉપયોગ કરીને થલતેજ-ગાંધીનગર જઈ શકશે.


