અમદાવાદ : અમદાવાદમાં ચારેય તરફ રીડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની છે. ત્યારે મ્યુનિ. કોપોરેશન સહીતના વિભાગમાં રીડેવલપમેન્ટને લગતી રૂટીન કામગીરી માટે અલાયદો વિભાગ પણ નથી. જેના લીધે પ્લાનીગ વિભાગથી લઈ ટેક્ષ સહીતના વિભાગો વચ્ચે સંકલનને અભાવ હોવાથી વિવિધ વિભાગો પોતાની રીતે કામગીરી કરીને નાગરીકોને પરેશાન કરે છે. હાલ રીડેવલપમેન્ટમાં ગયેલી અને રજાચીઠ્ઠી મેળવી લેનારા સંબંધીત સોસાયટીના સભ્યોને પ્રોપર્ટી ટેક્ષ ભરવાના મેસેજ કરાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કર્મચારીઓની ભારે બેદરકારી બહાર આવી છે. જમીન દોસ્ત થયેલા મકાનોને કોઈપણ વેરો ભરવાનો આવતો નહી હોવાનો નિયમ હોવા છતાં આડેધડ મેસેજ કરાયા છે. મ્યુનિ કોર્પોરેશનના ટેક્ષ વિભાગના કર્મચારીઓની કામગીરીથી લોકો હેરાન થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મ્યુ કોર્પાેરેશનની હદ વિસ્તારોમાં પ્રાઈવેટ અને હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ સોસાયટીઓના બિલ્ડીગ જ જમીનદોસ્ત થઈ ગયા છે. જેની મ્યુનિ.કોર્પોરેશનમાંથી રજા ચીઠ્ઠી પણ મેળવી લેવાઈ છે. રજા ચિઠ્ઠી મળ્યા પછી મ્યુનિ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ સહીત કોઈ પણ વેરો ભરવાનો હોતો નથી. તેની કોર્પોરેશનના કર્મચારીઓની પણ જાણ છે.
મ્યુનિ.કોર્પોરેશનના પ્લાનીગ વિભાગોમાંથી રજા ચીઠ્ઠી અપાયા બાદ આ અંગે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગને જાણ કરવાની હોય છે. જેના ભાગરૂપે સોસાયટીના લેટર પેડ ઉપરાંત ડેવલપર્સ તરફથી પણ પોતાની રીતે મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષ વિભાગને રજા ચીઠ્ઠીની ઝેરોક્ષ કોપી સાથે જાણ કરાય છે. જાણ કરાયા ત્યારે ટેક્ષ વિભાગના કર્મચારીઓ જણાવે છે કે હવે નવું બિલ્ડીગ તૈયાર થયા પછી જ ટેક્ષ બિલ આવશે. ત્યાં સુધી કોઈ પણ ટેક્ષ ભરવાનો નહી આવે. પરંતુ નાણાકીય વર્ષની શરૂઆત થાય અને ટેક્ષ બિલ તૈયાર થાય તેવા તરત જ પ્રોપર્ટી ટેક્ષધારકોને ટેક્ષની રકમ ભરવા મેસેજ કરાય છે. હાલ ટેક્ષ ભરવાના મેસેજ કરાતા રીડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.


