અમદાવાદ : અમદાવાદના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય મનોરંજનના મહાકુંભ સમાન કાંકરિયા કાર્નિવલનો આજે રંગેચંગે ભવ્ય શુભારંભ થયો. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પુષ્પકુંજ સ્ટેજ પર ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં ‘લોકલ ટુ ગ્લોબલ’ થીમ આધારિત કાર્નિવલ પરેડ મુખ્ય આકર્ષણ બની. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં અમદાવાદીઓ અને પર્યટકો કાંકરિયા તળાવ પરિસરમાં ઉમટી પડ્યા હતા. જ્યાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની જમાવટ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં આવેલા જાણીતા અને ઐતિહાસિક કાંકરિયા તળાવ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવવાની સાથે 507 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરાવ્યું હતું. આ દરમ્યાન કાર્નિવલના પહેલા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. મુખ્યમંત્રીએ 527 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવ્ય પરેડને લીલી ઝંડી આપી હતી. કાંકરિયા કાર્નિવલ 25થી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો ત્યારે સુંદર અને રંગબેરંગી લાઈટ્સ ઝળહળી ઉઠી હતી. ત્યારબાદ સીએમ દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2014માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. જે સામાન્ય વર્ગનાં લોકોને પોસાય તેવા ખર્ચથી હેપ્પીનેસ ઈન્ડેક્સ અપનાવ્યો છે.અમદાવાદ મહાનગરને કાંકરિયા, રિવરફ્રન્ટ, શોપિંગ ફેસ્ટિવલ જેવા અનેક પ્રકલ્પો આપ્યા છે. કાંકરિયા કાર્નિવલ વિકાસ કાર્નિવલ બન્યો છે.
કાર્નિવલના પ્રથમ દિવસે ડ્રોન શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીના સાંસ્કૃતિક કાર્યક્રમથી કાંકરિયાનું આકાશ ઝળહળી ઊઠ્યું હતું, જ્યારે કાર્નિવલ પરેડે નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.આ ઉપરાંત દરરોજ ખ્યાતનામ કલાકારો પર્ફોમ કરશે.દરરોજ કાંકરિયા કાર્નિવલમાં લેઝર શો, સંગીત શો, ડાન્સ સ્પર્ધા યોજાશે. 3500 કર્મચારીઓ આજે ગિનિસ રેકોર્ડ સર્જશે. 3500 સફાઈ કર્મચારીઓ બલૂન મોઝેક તૈયાર કરશે.
25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં શહેરના નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. કાર્નિવલ દરમિયાન કાંકરિયાના પરિસરમાં વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં દરરોજ નામાંકિત કલાકારો દ્વારા સંગીત, ડાયરો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવશે.


