અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર પંચવટીમાં ઘરઘાટીએ જ પોતાના માલિકના ઘરમાં ચોરી કરવા ફિલ્મી સ્ટાઈલમાં ષડયંત્ર રચ્યું હતું. પોતાને જ બંધક બનાવી મોઢા પર ટેપ મારી લૂંટનો ડ્રામા કરનાર ઘરઘાટી અને તેના બે સાથીદારોને ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે મકાન માલિકના પિતા અને ડ્રાઈવરની સતર્કતાના કારણે લાખોની ચોરી નિષ્ફળ ગઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
રિપોર્ટ મુજબ, ઘટનાની વાત કરીયે તો પંચવતી વિસ્તારમા આવેલા સેકન્ડ એવન્યુ ખાતે આવેલ મકાનમા ઘરઘાટી તરીકે કામ કરતા આરોપી શંકર પ્રસાદે ચોરીનુ ષડયંત્ર રચ્યુ હતુ અને શંકરે પોતાના બે મિત્રો આકાશ અને અયાઝ ખાનને દિલ્હીથી બોલાવી ચોરીનો આખો પ્લાન તૈયાર કર્યો હતો. પ્લાન મુજબ શંકરે બંને મિત્રોને ઘરમાં પ્રવેશ આપ્યો અને પોતે નિર્દોષ દેખાય તે માટે પોતાના જ મોઢા પર ટેપ મારી પોતાની જાતને બંદી બનાવી દીધો હતો. પરંતુ પાપનો ઘડો ફૂટવાનો હતો.
બરાબર ચોરીના સમયે જ ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમનો ડ્રાઈવર ઘરે આવી પહોંચ્યા. દરવાજો અંદરથી બંધ જોઈ શંકા ગઈ અને તપાસ કરતા અંદર બે અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતા. જગદીશભાઈ અને ડ્રાઈવરે હિંમત બતાવી આરોપીઓને પકડવાની કોશિશ કરી, જેમાં આકાશ નામનો આરોપી ઝડપાઈ ગયો, જ્યારે અયાઝ ખાન ફરાર થઈ ગયો. શરૂઆતમાં શંકરે પોતાને પણ આ લોકોએ બંદી બનાવ્યો હોવાનું નાટક કર્યું, પરંતુ પોલીસની કડક પૂછપરછમાં ઘરઘાટીનો ભાંડો ફુટી ગયો હતો. ગુજરાત યુનિસિટી પોલીસે ઘરઘાટી સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા એક મહિનાથી ત્યાં ફરી ઘરઘાટી તરીકે કામ લાગ્યો હતો. ઘરમા કિંમતી વસ્તુઓ અને પૈસા હોવાનો તેને અંદાજ હતો, જેથી આર્થિક લાભ મેળવવા માટે આ ચોરીનું કાવતરું ઘડ્યું હતું. પોતાના બે મિત્રો આકાશ અને અયાઝને ચોરી કરવા અમદાવાદ બોલાવ્યા હતા. આ પરિવાર અગંત કામથી ઘરની બહાર નીકળ્યો હતો, ત્યારે ઘરઘાટીએ ખુદને બંધક બનાવીને ફિલ્મી ઢબે ચોરીનુ ષડયંત્ર રચ્યુ હતુ. પરંતુ પોલીસની તપાસમાં આરોપીઓનો ભાંડો ફુટી ગયો હતો કે આરોપી શંકરે અગાઉ ચોરી 36 તોલા દાગીના પાર્સલ કરીને તેના મિત્ર તનવીર ફરીદાબાદ મોકલી દીધા હતા, જેની એક કુરિયર ચિઠ્ઠી મળતા પોલીસે ફરીદાબાદથી તમામ મુદામાલ કબજે કર્યો.
ગુજરાત યુનિવર્સીટી પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે એક અઠવાડિયામાં 3 ઘરઘાટી ચોરી ઘટનાથી પોલીસે અપીલ કરી છે, કે ઘરે કામ કરવા રાખતા ઘરઘાટીનું પોલીસ વેરીફીકેશન કરાવવુ અથવા તેના તમામ ડોક્યુમેન્ટ તપાસ કરીને કામે રાખવો જોઈએ. જેથી આ પ્રકારની ઘટના અટકાવી શકાય, બીજી બાજુ પોલીસે આ કેસમાં આરોપીઓ સામેની ફરિયાદમાં લૂંટની કલમ ઉમેરવાની પણ તજવીજ તેજ કરી છે.


