અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં ગયા અઠવાડિયે ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ ધાર્મિક ઉત્સવ સહિતના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ મુજબ, ગૃહમંત્રી અમિતભાઇ શાહનું 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યાર બાદ 4 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે તેઓ ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા ગામ ખાતે પહોંચશે. અહીં તેઓ નવનિર્મિત પાઇપલાઇન અને ભૂમિગત પાણીની ટાંકી સહિતની અત્યાધુનિક જળ વ્યવસ્થાપન પ્રણાલીનું વિધિવત લોકાર્પણ કરશે. બપોરે 12 વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.
ત્યારબાદ તેઓ અમદાવાદના સાબરમતી ખાતે કાળી રોડ સ્ટેશન નજીક પહોંચશે. જ્યાં લોકોમોટિવ રેલવે એન્જિનના રખરખાવ માટે પીઆઇપી (PIP) મોડેલ આધારિત તૈયાર કરાયેલા વેગન 12 મેન્ટેનન્સ શેડનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ દેશની પ્રથમ એલએનજી ટ્રેનનો પ્રારંભ કરાવશે.
વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદમાં ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરશે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સમારોહમાં તેઓ સહભાગી થશે. મધરાતે 12 વાગ્યા સુધી જન્માષ્ટમી દર્શન અને મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ તેઓ રાત્રે જ દિલ્હી જવા રવાના થશે.


