અમદાવાદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે ચૂંટણી કાર્ડ (મતદાર ફોટો ઓળખકાર્ડ) રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. ચૂંટણી કાર્ડ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે ચૂંટણી કાર્ડ રજૂ કરવાનું રહેશે. જે મતદાર ઈલેક્શન કાર્ડ રજૂ ન કરી શકે તો તેની જગ્યાએ અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.
ચૂંટણી કાર્ડ સિવાય આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે.
ખાસ કરીને બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેમ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.