કલોલ : એક તરફ ગુજરાતમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં અનેક વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઘણાખરા વ્યાજખોરો વિરુદ્ધ પાસા પણ કરી દેવામાં આવી છે.બીજી તરફ ગાંધીનગરના કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. ભજીયાંની લારી ચલાવતો યુવક વ્યાજની ચુંગાલમાં ફસાઈ જતાં તેણે કેનાલમાંથી ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે. યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટને આધારે વધુ તપાસ શરુ કરી છે.
કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા વિનોદભાઈ કાનાજી ઠાકોર, જેઓ જૈન દેરાસર પાસે, ગાયોના ટેકરે ભજિયાંની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભજિયાંની લારી ચલાવતાં ચલાવતાં વ્યાજખોરોની ચુંગાલમાં વિનોદજી ક્યારે ફસાઈ ગયા એનો ખ્યાલ પણ ખ્યાલ ન આવ્યો. નાની નાની મૂડી લેતાં તેઓ મોટી ચુંગાલમાં ફસાઈ જતાં આખરે તેમણે કેનાલમાં કૂદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું.
મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. ચિઠ્ઠીમાં તમામ વ્યાજખોરોનાં નામ અને તેમની સામે રકમ પણ લખેલી હતી. એમાં ઘણી જગ્યાએ તેમણે એવો પણ ઉલ્લેખ કરેલો છે કે લીધેલા પૈસા કરતાં વધુ પૈસા પણ આપી દીધા તેમ છતાં માગ પૂરી થઈ નથી. સાથે જ એવું પણ લખેલું છે કે ‘મારા પરિવારને હેરાન ન કરતા. કડી પોલીસે ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.