અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણી 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final)ની ફાઈનલને લઈને આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન શ્રેણીની ચોથી મેચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજાનારી ટેસ્ટ મેચ જોવા આવશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાનારી ચોથી ટેસ્ટ મેચ જોવા માટે આવશે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે.આ મેચ ભારતના વડાપ્રધાનના નામ પર રાખવામાં આવેલા સ્ટેડિયમમાં રમાશે. જ્યારથી આ સ્ટેડિયમનું નામ મોદીના નામ પર રાખવામાં આવ્યું છે, ત્યારથી આ પહેલીવાર હશે જ્યારે તેઓ આ સ્ટેડિયમમાં મેચ જોશે.
શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. શ્રેણીની આગામી ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર પણ બની જશે.