અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 9 માર્ચે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીઝ પણ હાજર રહેવાના છે. જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરવામાં આવશે. સૌપ્રથમવાર ટેસ્ટ મેચ દરમિયાન 1.10 લાખ દર્શકોની કેપેસિટી ધરાવતું સ્ટેડિયમ આખું ભરાશે. બંને દેશોના વડાપ્રધાન મેચ જોવા આવવાના હોવાથી ભાજપ શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે.
ભાજપ સંગઠનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેચ જોવા આવશે. જેને લઈને ભાજપ શહેર સંગઠનને સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકોને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરથી લઈને વોર્ડ સુધી તમામ ધારાસભ્યો, કોર્પોરેટરોને પોતપોતાના વિસ્તારના કાર્યકર્તાઓને મેચ જોવા માટે લાવવા અને લઈ જવાની જવાબદારી આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા માટે થઈ મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. સ્ટેડિયમ જતી મેટ્રો ટ્રેન જે વોર્ડ વિસ્તારમાંથી સીધી મળી રહે છે તેવા વાસણા, પાલડી, નવરંગપુરા, નવાવાડજ, સરદાર પટેલ સ્ટેડિયમ, રાણીપ વિસ્તારના કાર્યકર્તાઓને મેટ્રો ટ્રેનમાં જ આવવા માટે સૂચના અપાઇ છે. જ્યારે બીજા વોર્ડમાંથી આવવા માટે જો બની શકે તો મેટ્રો ટ્રેન અથવા તો બસની વ્યવસ્થા ધારાસભ્યને કરવા જણાવવામાં આવ્યું છે.