અમદાવાદ : ક્રિકેટ રસિકો માટે ખુબ જ ખુશીના સમાચાર છે. એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, અમદાવાદમાં તૈયાર થયેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ. સૂત્રોની માનીએ તો ઉચ્ચસ્તરેથી આ અંગે સુચનાઓ આપી દેવામાં આવી છે. જેને પગલે અત્યારથી આ અંગે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ તો આ વર્લ્ડ કપ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ભારતમાં રમાવાનો છે. છેલ્લે 2011માં અહીં વર્લ્ડ કપ રમાયો હતો અને તેમાં 28 વર્ષ બાદ ભારત વિજેતા બન્યું હતું. હવે, મળેલી લેટેસ્ટ ખબર પ્રમાણે વર્લ્ડ કપની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ શકે છે, જે 19 નવેમ્બર સુધી ચાલશે. વર્લ્ડ કપના આયોજન માટે બીસીસીઆઈએ ઓછામાં ઓછા 12 જેટલા સ્થળ શોર્ટલિસ્ટ કર્યા છે અને ફાઈનલ મેચ સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ઈએસપીએન ક્રિકો ઈન્ફોના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે કુલ 12 સ્થળને શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ સિવાય જ્યાંના સ્ટેડિયમને આ મેગા ઈવેન્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં બેંગાલુરુ, ચેન્નઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. વર્લ્ડ કપની વાત કરીએ તો, 46 દિવસ સુધી ચાલનારા આ વર્લ્ડ કપમાં કુલ 48 મેચ રમાશે, જેમાં 3 નોકઆઉટ ટક્કર પણ સામેલ છે.
આઈસીસી દ્વારા હજુ સુધી મેચને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, સામાન્ય રીતે મીડિયા રિપોર્ટમાં જે પણ વાતો કહેવામાં આવી છે જો તે સાચી ઠરે તો મેચની જાહેરાત બાદ ઓનલાઈન ટિકિટોનું વિતરણ થઈ શકે છે. જેથી તમારે નક્કી કરાયેલી વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની હોય છે. સત્તાવાર જાહેરાત બાદ જ આ અંગે સ્પષ્ટતા થશે.