અમદાવાદ : રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ એટલે જળ યાત્રા, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે જળયાત્રા યોજાઈ છે. વાજતેગાજતે જળયાત્રાનું આયોજન કરાયું છે. જળયાત્રા બાદ સાબરમતી નદીના જળથી ભગવાન જગન્નાથનો જળા ભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની બાદ ભગવાનના ગજવેશ આજે દર્શન થશે. જેની બાદ આજે ભગવાન મોસાળ જશે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલાં આજે 4 જૂનના રોજ જળયાત્રા યોજાઈ રહી છે. જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે શરૂ થઈ છે. ઢોલ-નગારા, ધજાપતાકા, બળદગાડાં, બેન્ડવાજા સાથે જળયાત્રા યોજાઈ છે. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તોજનો જળયાત્રામાં જોડાયા છે. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો છે. આજે ભગવાન જગન્નાથના જળાભિષેકની પૂજા-વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. લોકોએ જળયાત્રામાં જોડાયેલા હાથીઓ સાથે સેલ્ફી લીધી હતી.
રથયાત્રાનો પ્રથમ પડાવએ જળયાત્રાને માનવામાં આવે છે, મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ સંપૂર્ણ તૈયારીઓ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઈને જઈ રહ્યા હોય છે ત્યારે તેને તૈયાર કરવામાં આવે છે. 108 કળશમાં સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ તમામ 108 કળશમાં સાબરમતી નદીનું પાણી ભરવામાં આવે છે.