અમદાવાદ : મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પૂર્વે આજે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં શ્રમદાન કર્યું, જયારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં શ્રમદાન કર્યું. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડમાં શ્રમદાન કર્યું હતું, જયારે CM ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં સતાધાર ચાર રસ્તા લક્ષ્મણગઢના ટેકરા પાસે સ્વચ્છતા શ્રમદાન કર્યું હતું. શ્રમદાન કરતા સમયે CM હળવા મૂડમાં જોવા મળ્યાં હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને બે બાળકો સાથે સેલ્ફી ફોટો પણ લીધો હતો.
PM મોદીએ આ શ્રમદાન માટે એક તારીખ, એક કલાક, એક સાથેનું સૂત્ર આપ્યું છે. તેમણે કહ્યું- સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેકે સ્વચ્છતા રાખવાના પ્રયાસો કરવા જોઈએ. આજના અભિયાન માટે દેશભરમાં 6.4 લાખ સ્થળોની પસંદગી કરવામાં આવી છે.


