અમદાવાદ : અમદાવાદમાં વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.ગોતા વોર્ડમાં ગ્રીનનેટ, સેફટીનેટ તથા બેરીકેટ નહીં હોવાના મામલે ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.રુપિયા 1.25 લાખનો દંડ વસુલ કરવા સાથે બાંધકામ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં AMC કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના અધિકારીઓને આવા બાંધકામ સાઈટો ઉપર ચેકિંગ કરી અને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે આજે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાલુ બાંધકામ સાઈટો ઉપર બિલ્ડરો દ્વારા ગ્રીન નેટ નહિ લગાવવાને કારણે ઘાટલોડિયા ઇરીડિયમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિત્યમ લક્ઝૂરિયા અને એસજી હાઇ-વે પર ગોતા નજીક ધ એમ્પાયર એમ કુલ ત્રણ જેટલી બાંધકામ સાઈટોને ગ્રીનનેટ અને સેફટી નેટ સહિત પર્યાવરણની જાળવણી અંગેના નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી અને રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પકવાન ચાર રસ્તાથી માનસી ચાર રસ્તા થઇ અને કેશવબાગ ચાર રસ્તા તેમજ ઇસ્કોન ચાર રસ્તાથી એસજી હાઇવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર રહેણાંક 61 અને કોમર્શિયલ 366 એમ કુલ 427 મિલ્કતોને ગેરકાયદે પાર્કિંગ અને કોમ્પ્લેક્સ તેમજ રહેણાંક વિસ્તારમાં માર્જિનની જગ્યામાં દબાણ ન થાય તેને ધ્યાનમાં રાખી અને નોટિસ આપવામાં આવી હતી.રોડ પર દબાણ અને માર્જિનની જગ્યામાં દબાણ કરાયું હશે તો એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.