અમદાવાદ : અમદાવાદમાં હાઉસીંગ બોર્ડના અનેક ફ્લેટ ટાઈપ મકાનો જર્જરિત થયા છે અને તેમાં કોઈ રિપેરિંગ કામકાજ થતું નથી તેનો વધુ એક પુરાવો હાઉસીંગ બોર્ડના ફ્લેટની છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો તેના પરથી જાણી શકાય છે. નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલા હાઉસીંગ બોર્ડના ફ્લેટની છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો. તેના પગલે ફલેટમાં નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.પતિ-પત્નીને સામાન્ય ઈજાઓ થવા પામી છે.
View this post on Instagram
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના શિવમ એપાર્ટમેટમાં ત્રીજા માળે આવેલ બ્લોક નં-૩૫માં બુધવાર બપોરના સમયે મેઈન રૂમમાં પરિવારજનો આરામ કરતા હતા.ત્યારે છતનો મોટો હિસ્સો ધડામ દઈ અવાજ સાથે ધરાશયી થયો હતો, તેના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, મકાન માલિક ભીખાભાઈ મેઘાણીએ મિર્ચી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હુ અને મારી પત્ની મકાનમાં આગળના રૂમમાં જ હતા. પરંતુ છતનો હિસ્સો સાઈડમાં ધરાશયી થવાને કારણે અને નીચે કોઈ હાજર ન હોવાને કારણે અમને સામાન્ય ઈજાઓ થયેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર શિવમ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના તમામ ફલેટની હાલત જર્જરિત છે. અહીં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.ગમે ત્યારે કોઈ દૂર્ઘટના ઘટે પહેલા સોસાયટીમાં રિડેવલપમેન્ટ થવું જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે શિવમ એપાર્ટમેન્ટમાં અનેક ફ્લેટો વર્ષો જુના છે અને જર્જરિત હાલતમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ એક બનાવમાંથી શીખ નહી લે અને હાઉસીંગ બોર્ડના વર્ષો જૂના મકાનોનો સ્ટ્રકચરલ રિપોર્ટ નહીં કઢાવે તો ભવિષ્યમાં તે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપશે તે સુનિશ્ચિત છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાના તાળા મારવા જવાના બદલે કોર્પોરેશન પાણી પહેલા પાળ બાંધવાનું વલણ અપનાવે તો કમસેકમ બિનજરૂરી જાનહાનિ થતી અટકશે અને તેના કામની પણ બોલબાલા થશે. અમદાવાદ સહિત હાઉસિંગ બોર્ડના કેટલાય મકાનોની જર્જરિત સ્થિતિ છે અને કોર્પોરેશનનો મકાન વિભાગ આ મોરચે સક્રિય થાય તે જરૂરી છે.