અમદાવાદ: રવિવારે સાંજે અમદાવાદના સેટેલાઈટ AMTS બસે મોટો અકસ્માત સર્જયો હતો. બસ ડ્રાઈવરે માતેલા સાંઢની જેમ બસ દોડાવીને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્મતાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત, તો એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્યારે AMTS બસની સ્પીડને કન્ટ્રોલ કરાવવા મોટો નિર્ણય લેવાયો છે. હવે AMTS ના ચાલકો 45 કિમીથી વધુની સ્પીડે બસ નહિ હંકારી શકે. AMC એ બસની સ્પીડ અંગે મોટો નિર્ણય લીધો છે.
અવારનવાર બનતા AMTS બસથી થતા અકસ્માતને રોકવા માટે AMC એ મોટો નિર્ણય લીધો છે. AMTS બસની ઝડપ અંગે તંત્રએ મહત્ત્વનો નિર્ણય કર્યો કે, હવે AMTS ની બસ 45 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી શકાશે નહીં. ગતરાતે જોધપુર ચાર રસ્તા ખાતે સર્જાયેલા AMTS અકસ્માતનો મામલે AMTS ના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં AMTS ની મહત્તમ સ્પીડ 50 થી 60 km પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40 થી 45 km પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ખાનગી ઓપરેટરો પાસ દંડની વધુ રકમ વસૂલવા માટે પણ ચર્ચા થઈ હતી તેવું AMTS ના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ગત રવિવારે થયેલા ગંભીર અકસ્માતમાં વાહનોને ભારે નુક્સાન પહોચ્યું હતું. રીક્ષા અને ગાડીનો તો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ જોવા મળી ન હતી. પરંતુ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બસ ડ્રાઈવરને ઝડપી લીધો હતો. પોલીસે આ કેસમાં આમિર મન્સૂરી નામના બસ ચાલકની ધરપકડ કરી છે. પોલીસના મતે આરોપી 10 વર્ષથી AMTSની બસ ચલાવતો હતો.


