અમદાવાદ : શહેરના માળખાગત સવલતોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુભાષબ્રિજની જોખમી હાલત બાદ હવે શહેરના વ્યસ્ત એવા ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર પણ ભયના વાદળો મંડરાઈ રહ્યા છે. માત્ર 5 વર્ષ પહેલાં જ લોકાર્પિત થયેલા આ બ્રિજના જોઈન્ટ એક્સપાન્સન તૂટવાની ઘટના સામે આવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના આશ્રમ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ પર ઠેર-ઠેર ભયજનક તિરાડો અને નુકસાન જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાટા સર્કલથી ઉસ્માનપુરા તરફ જતાં કાલુપુર બેંક પાસે બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન તૂટી ગયા છે. અહીં સ્થિતિ એટલી ગંભીર છે કે તૂટેલા ભાગમાંથી બ્રિજની નીચેની અવરજવર સ્પષ્ટ જોઈ શકાય તેવી મોટી ગેપ પડી ગઈ છે.
બીજી તરફ, ઉસ્માનપુરાથી બાટા સર્કલ તરફ જતાં આયકર ભવન પાસે બ્રિજ પરના લોખંડના બોલ્ટ બહાર આવી ગયા છે. આ ઉઘાડા બોલ્ટ ગમે ત્યારે કોઈ મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.બ્રિજના જોઇન્ટ તૂટવાથી વાહન વ્યવહાર માટે જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતની શક્યતા વધે છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે કે નવા બનેલા બ્રિજમાં આવી ખામીઓ કેવી રીતે આવી શકે?
આ મામલે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. તાત્કાલિક પગલાંરૂપે બ્રિજ પર બેરીકેડ લગાવવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાય છે ત્યાં અવરોધો મૂકવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને ચેતવણી મળી શકે.
કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં સમારકામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે સતત સામે આવી રહેલા બ્રિજના કેસોને લઈને શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અંગે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.


