અમદાવાદ : અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે. હાલમાં શહેરના વ્યાપ પ્રમાણે 50 ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર 19 સ્ટેશન કાર્યરત છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના વિસ્તરણને જોતા, કોર્પોરેશન દ્વારા રાણીપ, હાથીજણ, લાંભા અને સરદારનગર જેવા વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સ્ટેશન કાર્યરત થવાથી આગ જેવી કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટશે, જેનાથી જાન-માલનું નુકસાન ઓછું કરી શકાશે. આ ઉપરાંત, શહેરના જૂના અને ગીચ વિસ્તારો એવા પાંચકૂવા અને દાણાપીઠમાં પણ નવા સ્ટેશનો ટૂંક સમયમાં ધમધમતા થશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર ઈમારતો બનાવવાથી સુરક્ષા સુનિશ્ચિત થતી નથી, તેના માટે સજ્જ સ્ટાફની પણ જરૂર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંજૂર થયેલા નવા 4 સ્ટેશન માટે ફાયરમેન સહિત કુલ 168 સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી ભરતીથી ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને યુવાનોને રોજગારીની તક પણ મળશે.
અમદાવાદમાં જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમો (TP) વધી રહી છે, તે જોતા 19 ફાયર સ્ટેશન અત્યંત ઓછા ગણી શકાય. તંત્રનો 15 નવા સ્ટેશન બનાવવાનો આ નિર્ણય આગામી સમયમાં શહેરને વધુ સુરક્ષિત બનાવશે. આ નવા માળખાકીય ફેરફારથી પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ફાયર ફાયટર્સ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે.


