અમદાવાદ : અમદાવાદના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલડીના કોચરબ આશ્રમ પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદના બંગલામાં થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી આજે (16મી જાન્યુઆરી) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાલડી વિસ્તારમાં નુતન સર્વોદય સોસાયટીમાં કરોડોના કિંમતની લક્ઝુરીયસ ગણાતા બંગલા નંબર 1માં સવારથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંગલાનું બાંધકામ ગેરકાયદેસર હતું જે અંગે અવારનવાર નોટિસો આપવામાં આવી હતી, છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે આજે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી મશીન અને મજૂરોની મદદ લઈને બંગલો ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર રહ્યો છે. અગાઉ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ વિસ્તારમાં અશાંતધારાના ઉલ્લંઘન મુદ્દે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે લેખિતમાં રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતોની ફેરબદલ અને બાંધકામ થઈ રહ્યા છે. આ વિવાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે આખરે ગેરકાયદે બાંધકામ પર હથોડો ઝીંકાયો છે.
આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગમે તેટલી વગ ધરાવતી વ્યક્તિ હોય, જો બાંધકામ નિયમો વિરુદ્ધ હશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. ખાસ કરીને ઐતિહાસિક કોચરબ આશ્રમની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર હવે લાલ આંખ કરી રહ્યું છે.


