અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના ખાસ ચુકાદા બાદ દુ:ખદ બનાવ સામે આવ્યો છે. 20 રૂપિયાની લાંચના આરોપમાં ફસાયેલા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલને ગુજરાત હાઇકોર્ટે 28 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ચુકાદો મળ્યાના થોડા જ કલાકોમાં તેમનું કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વર્ષ 1997માં ACBએ સમગ્ર મામલે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા વિશાલ જંકશન પાસે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા છટકું ગોઠવી રેડ પાડવામાં આવી હતી. તેમાં તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ પર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે વર્ષ 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠરાવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાને પડકારતા પોલીસકર્મીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેથી લાંબી કાનૂની લડત બાદ આખરે 22 વર્ષ પછી, એટલે કે આરોપ લાગ્યાના કુલ 28 વર્ષ બાદ, ગુજરાત હાઇકોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોનું મૂલ્યાંકન કરીને પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટના ચુકાદામાં પ્રોસિક્યુશન આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયું હોવાનું નોંધાયું હતું. જે નોંધીને જજે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.
ગઈકાલે હાઇકોર્ટે ચુકાદો આપતા જ તત્કાલીન પોલીસકર્મી ખૂબ ખુશ હતા. તેઓ પોતાના એડવોકેટ નીતિન ગાંધીની ઓફિસે પહોંચ્યા હતા અને આખા કેસ વિશે વાતચીત કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે 28 વર્ષ બાદ નિર્દોષ જાહેર કરેલા તત્કાલીન પોલીસકર્મીનું ચુકાદો આવ્યાના કલાકોમાં જ દુર્ભાગ્યવશ કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે.


