અમદાવાદ : અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી) બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનના ખુલ્લા પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનોમાં અંદાજે 25 જેટલી મોટરસાયકલો આ આગની ચપેટમાં આવી ગઈ હતી.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. ખાડિયા પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડીટેઇન કરેલા અને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલાના વાહનો મૂકી દેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે સાંજે અંદાજે 4:20 વાગ્યે ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં આગ લાગી હતી. આ જગ્યાએ વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ટુ-વ્હીલર (મુદ્દામાલ) રાખવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી.આ દુર્ઘટનામાં અંદાજે 25 જેટલા મોટરસાયકલોને નુકસાન થયું છે.
છેલ્લા અનેક મહિનાઓથી વાહનો કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડીટેઇન કરીને મૂકવામાં આવેલા હતા. જે વાહનોમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.જોકે, આ તમામ વાહનો પોલીસ તપાસ હેઠળના અને કોર્ટ મેટરના મુદ્દામાલ હોવાથી સરકારી મિલકતને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે તપાસના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


