અમદાવાદ : ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે T20 વર્લ્ડ કપ 2026ની મેચો હવે અમદાવાદના આંગણે રમાવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની આગામી દિવસોમાં મેચ રમાવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વર્લ્ડ કપની મેચો દરમિયાન ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરીના રોજ મેચના દિવસોએ બપોરે 3:00 વાગ્યાથી મોડી રાત્રિ સુધી ટ્રાફિક પર પ્રતિબંધ અને નિયમો અમલી રહેશે. વધુમાં, જો 8 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે, તો તે દિવસે પણ આ જ મુજબ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું રહેશે.

મેચ દરમિયાન જનપથ ટી-જંકશનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ સુધીનો માર્ગ તમામ સામાન્ય વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી મોટેરા ગામ ટી-જંકશન સુધીના માર્ગ પર પણ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. જોકે, આ પ્રતિબંધો વચ્ચે ઇમરજન્સી સેવાઓ, સ્થાનિક રહીશો અને યોગ્ય પરવાનગી ધરાવતા વાહનોને અવર-જવર માટે મુક્તિ આપવામાં આવશે.
વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ
જો તમારે મેચ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થવાનું હોય, તો પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાય છે. જે અંતર્ગત તપોવન સર્કલ તરફથી આવતા વાહનચાલકો ONGC ચાર રસ્તા, વિસત ટી-જંકશન અને જનપથ ટી-જંકશન થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ તરફ જઈ શકશે. તેવી જ રીતે, કોટેશ્વર અથવા ભાટ તરફથી આવતા લોકો કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે.
મેચ સંબંધિત પરવાનગી ધરાવતા વાહનો, ઇમરજન્સી સેવાઓ તેમજ સ્ટેડિયમ આસપાસના સ્થાનિક રહીશો માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે તેમ જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા મેચ દરમિયાન સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.


