અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા પનીરના નમુના લેવામાં આવ્યા છે. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો પનીર ખાવા જતા હોય છે જે પનીર એનાલોગ પનીર એટલે કે હલકી ગુણવત્તાનું પનીર હોય છે જેને ધ્યાનમાં રાખી અને પનીરની તપાસ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 9 જેટલી હોટલ- રેસ્ટોરન્ટમાંથી પનીરના નમુના લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા પનીરમાં મોઈસ્યર(ભેજ), ચરબીનું પ્રમાણ, મિલ્ક સિવાયની ફેટ, વેજીટેબલ ફેટ તેમજ સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે નમૂના લેવામાં આવ્યા હતા.નમૂનાને ચકાસણી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની NABL એક્રેડીએટેડ લેબમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે. અઠવાડિયાથી 15 દિવસમાં રિપોર્ટ આવશે.
આ નમૂનાઓ પૈકી જે નમૂના અપ્રમાણિત જાહેર થશે તેવા એકમો વિરુદ્ધ FSSAI- 2006 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમજ તે એકમો દ્વારા જે એકમો પાસેથી આ પનીરની ખરીદી કરવામાં આવે છે. તેની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે હોટલ- રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે.


