નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે સંસ્થા તેના મૂળ હેતુથી ભટકી ગઈ છે અને ઘર ખરીદદારોની જગ્યાએ બિલ્ડરોને મદદ કરતી જણાઈ રહી છે. કોર્ટે અહીં સુધી ટિપ્પણી કરી કે રાજ્યો હવે આ સંસ્થાને ચાલુ રાખવી કે બંધ કરવી તે બાબતે ગંભીર વિચાર કરે. આ ટિપ્પણી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે હિમાચલ પ્રદેશ સરકાર સામે નરેશ શર્મા કેસની સુનાવણી દરમિયાન કરી હતી.
ગુરુવારે એક કેસની સુનાવણી કરતી વખતે, CJI સુર્યકાંતે કહ્યું કે તમામ રાજ્યોએ વિચારવું જોઈએ કે RERA કોના માટે બનાવવામાં આવી હતી. હાલની સ્થિતિ એવી છે કે તે ડિફોલ્ટ કરનાર બિલ્ડરોને રાહત આપવા માટે કામ કરતી જણાય છે. સામાન્ય ખરીદદારોને કોઈ ખાસ ફાયદો મળતો નથી. આવી સંસ્થા રાખવા કરતાં તેને બંધ કરવી વધુ સારી. દેશભરમાં RERA સામે લોકોની ફરિયાદો વધી રહી છે. ઘણા ખરીદદારોનું કહેવું છે કે RERA દ્વારા રાહત મળવાને બદલે તેઓ લાંબી કાનૂની પ્રક્રિયામાં ફસાઈ જાય છે.મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલિયા બાગચીની બનેલી બેન્ચે, સુનાવણી દરમિયાન RERA સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું.
આ કેસ હિમાચલ પ્રદેશ સરકારે RERAનું મુખ્ય કાર્યાલય શિમલાથી ધર્મશાલા ખસેડવા અંગે બહાર પાડેલા નોટિફિકેશન સાથે જોડાયેલો છે. આ નિર્ણયને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે તેના પર રોક લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે વૈકલ્પિક કાર્યાલય નક્કી કર્યા વગર સ્થળાંતરનો નિર્ણય લેવાથી સંસ્થાનું કામકાજ અટકી શકે છે.
ગુરુવારે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, જેનાથી રાજ્ય સરકારને નોંધપાત્ર રાહત મળી. સુપ્રીમ કોર્ટે રાજ્યને RERA ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવાની મંજૂરી આપી હતી. જોકે, કોર્ટે ખાતરી કરી હતી કે આ પ્રક્રિયાથી સામાન્ય લોકો અથવા RERAના આદેશોથી પ્રભાવિત લોકોને કોઈ અસુવિધા ન થાય.


