અમદાવાદ : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સાવારે ભવ્ય નગરયાત્રા નીકળી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો.
અમદાવાદ આજે તેના 615મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. અત્યારે શહેરના નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા શ્રદ્ધાળુઓના જયઘોષ સાથે શહેરના માર્ગો પર ફરી રહી છે. વહેલી સવારે નીજ મંદિરથી મેયર પ્રતિભા જૈન અને મંત્રીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા નગરદેવીને સન્માનપૂર્વક ‘ગાર્ડ ઓફ ઓનર’ અર્પણ કરવામાં આવ્યું છે, જે દ્રશ્યો ભાવિકોના મન મોહી રહ્યા છે.
અત્યારે નગરયાત્રામાં ભજન મંડળીઓ અને અખાડાઓના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રા ત્રણ દરવાજા અને માણેકનાથ બાબાના મંદિરે પહોંચી છે, જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ગાંધી રોડ, ખાડિયા અને રાયપુર ચકલાના માર્ગો ‘જય ભદ્રકાળી’ ના નાદથી ગુંજી રહ્યા છે. રસ્તામાં ઠેર-ઠેર નગરદેવીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
નગરયાત્રા હવે ઢાળની પોળ થઈને મ્યુનિસિપલ કોઠા અને ત્યાંથી જમાલપુર જગન્નાથજીના મંદિર તરફ આગળ વધી રહી છે. ત્યારબાદ યાત્રા રિવરફ્રન્ટ પહોંચશે, જ્યાં સાબરમતી નદીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી માતાજીના મંદિર અને વસંત ચોક ગણેશ મંદિર થઈને યાત્રા મોડી સાંજે નિજ મંદિર પરત ફરશે.
નગરયાત્રાને પગલે સમગ્ર કોટ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સ્થાપના દિવસે નીકળેલી આ સવારી શહેરના ભવ્ય વારસાની ઝાંખી કરાવી રહી છે.


