અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે ખાય એનું ખોદે. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના વટવા વિસ્તારમાં બન્યો છે. જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકીને રોકડી કરતો હતો. જોકે જ્વેલર્સ માલિકને આ અંગેની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસે આરોપી જગદીશ માળી અને સંજય ઠાકોરની ધરપકડ કરી છે. જગદીશ માળી વટવા સ્થિત ઝાંઝર જ્વેલર્સમાં નોકરી કરતો હતો. પરંતુ તેની દાનત બગડી અને તેણે માલિક સાથે જ ગદ્દારી કરવાનું શરૂ કર્યું. જગદીશ પોતે બનાવટી ગ્રાહકો ઊભા કરતો અને તેમને ભેળસેળ વાળી સોનાની ચેઈન આપી જ્વેલર્સમાં જ ગીરવે મૂકવા મોકલતો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સો ચેઈન મૂકી લાખો રૂપિયાની લોન લઈ જતા અને ત્યારબાદ ક્યારેય વ્યાજ ભરવા કે ચેઈન લેવા ડોકાતા પણ નહોતા. જોકે, માલિકને શંકા જતા આખો ખેલ ઉઘાડો પડ્યો. અંતે બંને શખ્સો પોલીસ હવાલે થયા છે.
આરોપી જગદીશ માળીએ અત્યાર સુધીમાં જુદા જુદા ગ્રાહકો મોકલીને ત્રણેક વખત ચેઇન ગીરવે મૂકીને રૂપિયા 7 લાખ જેટલી રોકડ રકમ મેળવી છે. જેના બદલામાં ઊભા કરેલા બનાવટી ગ્રાહકને કમિશન ચૂકવતો હતો. આરોપી જગદીશ પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લેતો હતો. તે ગ્રાહકને જણાવતો હતો કે, તે જ્વેલર્સમાં ચેઇન મૂકવા જશે તો જ્વેલર્સના માલિક તેના પરિવારને જાણ કરી દેશે. તેને રૂપિયાની જરૂર હોવાથી મદદ કરવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં મોકલતો હતો.
આરોપીની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. જે આ ગુનાનો માસ્ટર માઇન્ડ છે. ફરાર આરોપી આ રીતે ચેઇનની વ્યવસ્થા કરી આપતો હતો. જોકે તે ભેળસેળવાળી સોનાની ચેઇન ક્યાંથી લાવતો હતો અને અત્યાર સુધીમાં તેણે આ રીતે અન્ય કોઈ જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગુનાના મુખ્ય આરોપીની ધરપકડ બાદ હજી પણ અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.


