અમદાવાદ : રાણીપના બલોલનગરમાં ગઇકાલે(9 માર્ચ) રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 લોકોની અટકાયત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપના બલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો. સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો હતો. જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી.
આ ઘટનાની જાણ થતા જ રાણીપ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો, જેમાં 4થી 5 પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને સ્થળ પરથી પથ્થરમારામાં સામેલ 6 વ્યક્તિઓની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, અત્યાર સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાણીપ પોલીસ સ્ટેશન ખાતે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
હિંસક પથ્થરમારાની આ ઘટનામાં સામેલ હોવાના શંકાના આધારે પોલીસે સ્થળ પરથી જ 6 લોકોની અટકાયત કરી છે. પકડાયેલા શખ્સોને કડક પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી પથ્થરમારો શરૂ કરનારા મુખ્ય સૂત્રધારોની ઓળખ થઈ શકે. પોલીસનું કહેવું છે કે, વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં.
વિશ્વકર્મા સોસાયટીમાં આ ઝઘડો કયા કારણોસર શરૂ થયો અને પથ્થરમારા પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવત કે સામાન્ય બોલાચાલીનું પરિણામ હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં બલોલનગર વિસ્તારમાં શાંતિ છે, પરંતુ પોલીસે અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા નાગરિકોને અપીલ કરી છે.


