અમદાવાદ : અમદાવાદમાં બપોરના સમયે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને સિગ્નલ પર ઊભા રહી શેકાવું ન પડે તે માટે AMC એ હીટ એક્શન પ્લાન હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. નવા પ્લાન મુજબ, શહેરના મુખ્ય 70 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ટ્રાફિક જંકશન પર વાહનચાલકોને સીધા તડકામાં લાંબો સમય ઊભા રહેવાથી બચાવવાનો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા હીટ એક્શન પ્લાન હેઠળ માત્ર સિગ્નલ બંધ કરવા એટલું જ નહીં, પણ જ્યાં સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે અથવા મોટા જંકશનો છે, ત્યાં વાહનચાલકોને છાંયડો મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. CREDAI અને અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી ટ્રાફિક સિગ્નલો પર ‘ગ્રીન નેટ’ (લીલી જાળી) લગાવવામાં આવશે. આ નેટ એવી રીતે લગાવવામાં આવશે કે જેથી પોલીસના CCTV કેમેરાની દેખરેખમાં કોઈ અવરોધ ન આવે અને વાહનચાલકોને આકરી ગરમીથી સુરક્ષા મળે.
અમદાવાદમાં દર વર્ષે હીટવેવના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોય છે. હીટ એક્શન પ્લાન હેઠળ એએમસી દ્વારા પાણીની પરબો, ગ્રીન કવર અને હોસ્પિટલોમાં વિશેષ હીટ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલ બંધ રહેવાથી બપોરના સમયે ટ્રાફિકનું ભારણ હળવું થશે અને વાહનચાલકો ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.AMC તંત્રના આ નિર્ણયને શહેરીજનો આવકારી રહ્યા છે, કારણ કે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.


