અમદાવાદ : આગામી સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા સંગઠન માળખાને મજબૂત કરવા માટે 70 સભ્યોની નવી કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. કારોબારી સભ્યોની સાથે વિશેષ આમંત્રિત સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાની સાથે જ શહેરના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
ખાસ કરીને મનપાના વર્તમાન કોર્પોરેટરો અને મોટા નેતાઓને સંગઠનમાં સ્થાન મળતા તેમની ભવિષ્યની ચૂંટણી લડવાની શક્યતાઓ પર સવાલો ઊભા થયા છે.નવી જાહેર થયેલી યાદીમાં મનપાના પ્રભાવશાળી નેતાઓ જેવા કે દેવાંગ દાણી, જતીન પટેલ, મયુર દવે, બિપિન સિક્કા, જૈમિની દવે, શીતલ ડાગા અને મીનાક્ષી નાયકને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પક્ષના આ નિર્ણયને કારણે સંગઠનમાં શક્તિ વધશે તેવું માનવામાં આવે છે, પરંતુ આ નેતાઓ માટે આગામી ચૂંટણીમાં ટિકિટ મળવી મુશ્કેલ લાગી રહ્યું છે.
ભાજપમાં સામાન્ય રીતે ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ અને સંગઠનના લોકોને ચૂંટણી મેદાનમાં ન ઉતારવાની જે અલિખિત વ્યૂહરચના છે, તેને જોતા આ નેતાઓની આગામી ચૂંટણીમાં ટિકિટ મળવી મુશ્કેલ જણાઈ રહી છે. મનપાના મોટા નેતાઓને કારોબારીમાં સ્થાન આપીને પક્ષે સંકેત આપ્યો છે કે હવે તેઓએ સંગઠન માટે કામ કરવાનું રહેશે. આ નિર્ણયથી ઘણા નેતાઓના ચૂંટણી લડવાના સપના પર પાણી ફરી શકે છે. પક્ષના આ આંતરિક માનસિક પ્રભાવથી કાર્યકરોમાં પણ ભારે ચર્ચા જાગી છે.
નવી કારોબારીમાં જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ નેતૃત્વએ જે રીતે આ યાદી તૈયાર કરી છે તે જોતા આગામી સમયમાં નવા ચહેરાઓને ચૂંટણીમાં તક મળી શકે છે. ભાજપની આ ટેક્નોલૉજી અને રણનીતિ હંમેશા વિરોધીઓને ચોંકાવનારી રહી છે.


