અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલી ગરમી વચ્ચે આજે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા 18 થી 21 માર્ચ દરમિયાન કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અમદાવાદમાં સાચી ઠરી છે. બપોર પછી શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં અંદાજે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવને ધૂળની ડમરીઓ ઉડાડતા વાતાવરણ ધૂંધળું બની ગયું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આ મિની વાવાઝોડાને કારણે એસ.જી. હાઈવે, પ્રહલાદનગર અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા હજારો અમદાવાદીઓ આ અચાનક આવેલી આફતમાં અટવાઈ પડ્યા હતા. જેમાં ઑફિસેથી ઘરે જતી વખતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના S G હાઈવે, ચાંદખેડા, મોટેરા, મકરબા, સેટેલાઇટ, બોપલ, રામદેવનગર, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ, વિસલપુર, સનાથલ, કાશિન્દ્રા અને શાંતિપુરા સહિતના વિસ્તારમાં માવઠા થયા હતા.
આ ઉપરાંત આ કુદરતી આફત વચ્ચે બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામે એક મોટી હોનારત ટળી હતી. ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે મેલડી માતાજીના મંદિરે ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો, જે વાવાઝોડામાં ઉખડીને સીધો હાઈવોલ્ટેજ વીજ લાઈન પર જઈ પડ્યો હતો. સામાન્ય રીતે ૧૧ KV ની લાઈન પર લોખંડ કે ભીના કપડાનો મંડપ પડવાથી મોટો બ્લાસ્ટ થઈ શકે છે, પરંતુ આ લાઈન આધુનિક ઇન્સ્યુલેટેડ હોવાને કારણે કોઈ કરંટ ઉતર્યો ન હતો અને સેંકડો શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા હતા. જોકે, બાવળાના મેળામાં પવનને કારણે સ્ટોલ અને મંડપોને નુકસાન થયું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના જણાવ્યા મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૬ જેટલા તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં જ ૯ વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે.
સદનસીબે, કોર્પોરેશનની ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવીને રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત મળી હતી. આ માવઠાને કારણે વેજલપુર, સરખેજ અને મકરબા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાં તો ઘટાડો થયો છે, પરંતુ ખેડૂતો અને ખુલ્લામાં વેપાર કરતા લોકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે.


